Thursday 24 May 2012

પટેલ સંમેલન



અને હવે પટેલોનું સંમેલન.....!!!! હા, આ અગાઉ ક્ષત્રિય ઠાકોર કોળી સમાજના રાજકીય ઉપયોગ માટે થયેલા સંમેલનોની વાત કરેલી... પટેલોના સંમેલનો પણ થતા હતા પરંતુ એણે ઉઘાડી રીતે રાજકીય સ્વરૂપ નહોતું પકડ્યું. હવે એ પણ પકડાઈ રહ્યું છે.... આગામી ૮ મી જુને મહેસાણામાં પટેલો એક મોટું સંમેલન કરશે.... કારણ કે.... વર્તમાન ભાજપ સરકાર એમને અન્યાય (?) કરી રહી છે... પટેલો હોસીયામાં ધકેલાઈ ગયા છે. વગેરે... વેરી ગુડ, બહુત અચ્છે.... !! વર્તમાન સરકારના મંત્રીમંડળમાં કામ કરતા આનંદીબેન, નીતીનભાઈ, પ્રફુલ્લ પટેલ, નરોત્તમ પટેલ વગેરે પટેલો નથી !!!! કારણ કે એ કોંગ્રેસી પટેલો નથી... એટલે નટુભાઈ પટેલ (ઇફકો), જીવાભાઈ પટેલ, લીલાચંદ પટેલ વગેરે આગેવાનો મોદી વિરુદ્ધના અને ભાજપ વિરુદ્ધના પોતાના વિચારોને એ રીતે રજુ કરશે કે પટેલોને અન્યાય થઇ રહ્યો છે...આગામી સંમેલન આખા ઉત્તર ગુજરાતના પટેલો માટે છે.. યાદ છે? પાટણમાં મળેલું કોળી સંમેલન?? અદ્દલ એવું જ આ સંમેલન હશે..!!!! આ કોંગ્રેસનું સંમેલન પતે એટલે કદાચ ભાજપના પટેલો મળશે.... અને આમ ગુજરાત લડશે, વિભાજીત થશે, ખંડ ખંડ વહેચશે કોમ - કોમમાં .... ભા.....ઈ, ભા......ઈ...... ; any way, આ ગમ્મતનો મુદ્દો જ નથી.. sorry... પણ ગુજરાત તને થયું છે શું? એ પ્રશ્ન પૂછવા જેટલી સંવેદનશીલતા તો દરેક પાસેથી અપેક્ષિત્ છે... પટેલ હોય કે ક્ષત્રિય્ અત્યારે આ રાજકારણીઓ દ્વારા બોલાવતા કોઈ પણ જ્ઞાતિ સંમેલનનો બહિષ્કાર એ જ ગુજરાતને બચાવવાનો એકમાત્ર ઉપાય મને લાગે છે...

Thursday 17 May 2012


ગુજરાત ફરીથી કયા માર્ગે અને કોના માર્ગે..???

આગામી વિધાનસભાનાં નગારા વાગી રહ્યાં છે. ગુજરાત આખું હિલ્લોળે ચડ્યું છે અથવા રાજકીય પક્ષોએ હિલ્લોળે ચડાવ્યું છે. છેલ્લા બે અઢી દાયકામાં નહિ ભજવાયેલું એક રાજકીય નાટક આ વખતે ભજવાશે એવો મારો વ્યક્તિગત ડર કમનસીબે રાજકીય પક્ષોએ સાચો પાડ્યો છે! ૧૯૮૪-૮૫ મા KHAM (ખામ) થીઅરી ના નામથી પ્રખ્યાત થયેલું ડીંડક નવા અવતારે ફરીથી આવી રહ્યું છે. એનું નામ હશે 'ક્ષત્રિય ઠાકોર કોળી' સંગઠન કે સંમેલન કે ..... એનીથીંગ ....સાવધાન ગુજરાત.....!!

તાજેતરમાં યોજાયેલી માણસા વિધાનસભાની પેટાચૂંટણી જાણે કે પ્રયોગશાળા હોય એ રીતે કોંગ્રેસ આગળ વધી અને સફળ થઇ. પટેલ વિરુદ્ધ ક્ષત્રિયનું ઝેર કોંગ્રેસને માફક આવી ગયું. હવે આખા રાજ્યમાં જુદા જુદા વિસ્તારોમા 'ક્ષત્રિય ઠાકોર કોળી' સંમેલનો યોજાય છે- યોજાશે. અને આની અસર શું થઇ રહી છે એ પણ વિરોધી છાવણી એટલે કે ભાજપ નાં હવાતિયાં પરથી ખબર પડે એમ છે. છેલ્લા દશ વર્ષથી કોઈ પણ જ્ઞાતિ સંમેલનોમાં હાજર નહિ રહેતા મુખ્યમંત્રી પણ હવે જુદા જુદા જ્ઞાતિ સંમેલનોમા હાજર રહેવા માંડ્યા છે! એમને માથે હિંદુ-મુસ્લિમ વૈમનસ્ય વધારવાનો આક્ષેપ તો હતો જ, હવે પટેલ-કોળી-દલિત-બ્રાહ્મણ-..... વૈમનસ્ય માટે પણ એમને જવાબદાર ઠેરવવાનો પ્રયાસ થશે. વાહ રે મારા દેશ... પહેલાં તો કોઈકને કોઈ એક કર્મ (કે દુષ્કર્મ) કરવા તૈયાર કરો અને પછી એ કર્મ (કે દુષ્કર્મ) કરવા માટે એને જવાબદાર ઠેરવી એની ઉપર માછલા ધુઓ...

એક વાત સમજી લેવાની જરૂર છે કે આપણા દેશનું એ કમનસીબ છે કે લોકો વિકાસને વોટ નથી આપતા. જો આપ્યા હોત તો ભૂતકાળમાં મોરારજી દેસાઈ, રાજીવ ગાંધી, અટલ બિહારી વાજપેયી હાર્યા ન હોત... અને ૨૦૦૨ માં શ્રી નરેન્દ્ર મોદી  વિકાસના મુદ્દે નહોતા જીત્યા... ૧૯૮૪-૮૫ ની ચૂંટણીઓમાં શ્રી માધવસિંહ સોલંકી પણ વિકાસના મુદ્દે નહોતા જીત્યા... એ ખામ(KHAM) થીઅરી એટલે કે ક્ષત્રિય કે, હરીજનનો એચ, આદિવાસીનો એ અને મુસ્લિમનો એમ....એમ કરીને 'ખામ વિરુદ્ધ બીજા' એવી રીતે લડાવીને જીત્યા હતા. અને હોનહાર રીતે જીત્યા હતા... હવે બાકીનો દેશ માંડ વિકાસ તરફ વોટ આપવાનું વિચારી રહ્યો છે ત્યારે ગુજરાત ફરીથી માધવસિંહ સોલંકીના રસ્તે જશે..?! ફરીથી પટેલ વિરુદ્ધ ક્ષત્રિય એવા રમખાણો થશે?? કોઈ તો રોકો... હિંદુ મુસ્લિમ રમખાણોની કિંમત હજી આપણે ચૂકવી નથી શક્યા ત્યાં બીજા રમખાણો આપણને તારાજ કરી મૂકશે... એક બીજી વાત... માધવસિંહ ભાઈ ૧૯૮૫ માં જીત્યા તેથી ક્ષત્રિયોને કયો ફાયદો થયો..? આમ તો ક્ષત્રિય શબ્દ જે રીતે વાપરી રહ્યો છે તે તો સરાસર છેતરામણી છે... હિંદુ વર્ણાશ્રમ મુજબનો એક ભાગ એ ક્ષત્રિયની વાત હોય તો એ સવર્ણ રાજપૂત છે... જયારે કોળી-ઠાકોર વગેરે બક્ષીપંચ અંતર્ગત આવતી અનામતમાં આવતી જ્ઞાતિઓ છે.... આ બંને ને ક્ષત્રિય કહેવા એટલે બંને ને છેતરવા... પણ આ કોમ ભોળી અને ભલી છે... રાજકીય આગેવાનોથી છેતરાતી આવી છે અને છેતરાઈ રહી છે.. બક્ષીપંચ અંતર્ગત આવતી આ કોમ વિકાસની દોડમાં કદાચ સૌથી પાછળ છે... એમની સરકાર આવવાથી કે એમના મંત્રીઓની સંખ્યા વધવાથી એમની કોમનો વિકાસ થાય એ જરૂરી નથી, હા એ મંત્રીઓનો વિકાસ જરૂર થશે...
કોંગ્રેસના રવાડે ચડીને મુખ્યમંત્રીશ્રી પણ જ્ઞાતિ સંમેલનોમા જવા માંડ્યા છે... ગત ચૂંટણીમાં મહા ગુજરાત જનતા પાર્ટીએ પટેલ તરફી કોમવાદનો પ્રયાસ કરેલો. પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પણ એમાં ભાગ ભજવી ગયેલા... આ જ રીતે સુરેન્દ્રનગરમાં શ્રી સોમાભાઈ પટેલ અને શ્રી પીઠડીયા વગેરેએ કોળી કોમવાદને ભડકાવવા પ્રયાસ કરેલો... ગુજરાતના સદનસીબે એ લોકો નિષ્ફળ ગયેલા.. કારણ કે મુખ્ય બે પક્ષ ભાજપ અને કોંગ્રેસ બંનેએ રાષ્ટ્રીય પાર્ટીને શોભે એવો સંયમ પાળેલો. પણ આ વખતે તો દેશની સૌથી જૂની રાષ્ટ્રીય પાર્ટી કોંગ્રેસે જ કોમવાદ શરુ કર્યો છે અને ભાજપ તરફથી જેવા સાથે તેવા નો વર્તાવ થઇ રહ્યો છે. ગુજરાતને ભગવાન જ બચાવી શકે અથવા શાણા ગુજરાતીઓ બચાવી શકે. હા, કોઈ પણ રાજકીય આગેવાનને કોઈપણ જ્ઞાતિ સંમેલનોમાં ન બોલાવીને ગુજરાત આનો જવાબ આપી શકે એમ છે. ગુજરાત આવું કરશે? કરવું તો જોઈએ..
એક બીજી વાત; વાતે વાતે હિંદુ મુસ્લિમ સમસ્યાને ખોતરી ખોતરીને તાજી રાખતા કર્મશીલોને હિંદુ મુસ્લિમ વૈમનસ્ય કોમવાદ લાગે છે.. આ ક્ષત્રિય-પટેલ વૈમનસ્ય એ કોમવાદ નથી??? ક્યા છે એ કર્મશીલો??? આટલા બધા રાજકીય આગેવાનો આટલા બધા જ્ઞાતિ સંમેલનોમાં ઝેર ઓકે છે અને આ કામ્ર્માંશીલો  સૌ ગંદુ મૌન પાળી રહ્યાં છે??
નરેન્દ્ર મોદી હોય કે શંકરસિંહ વાઘેલા... કેશુભાઈ હોય કે ગોરધન ઝડફિયા... જ્ઞાતિ સંમેલનોમાં કોઈને પણ બોલાવવા ન જોઈએ... મને ડર છે કે  'ક્ષત્રિય ઠાકોર કોળી' સમાજ ફરીથી ૧૯૮૪-૮૫ ના અંધકાર યુગમાં ધકેલાશે... ખાસ કરીને જે જ્ઞાતિઓ બક્ષીપંચમાં સમાવિષ્ટ છે તે... કારણ કે તેમના ભોળપણનો લાભ લેતા રાજકીય પક્ષોને બરાબર આવડે છે... આઝીદીના સાડા છ દાયકા અને એક ૮૫ ના તોફાનોના અઢી દાયકા પછી પણ એ લોકોને છેતરી શકાય છે એવો આત્મવિશ્વાસ આ રાજકીય આગેવાનોને કેવી રીતે આવ્યો છે?? અને જો આ લોકો છેતરશે તો પટેલો પણ છેતરાશે જ... કેશુભાઈ અને ઝડફીયાજી તૈયાર જ બેઠા છે.... અને નરેન્દ્ર મોદીની તૈયારી વિષે તો આગાહી પણ કેવી રીતે થઇ શકે?? અલબત્ત, અગાઉ દસ વર્ષ એમણે આ મુદ્દે જાળવેલો  સંયમ આ વખતે નથી જાળવ્યો એટલે..... ગુજરાતને ભગવાન બચાવે એવી પ્રાર્થના કરવા ઉપરાંત માત્ર એક રસ્તો ગુજરાતી તરીકે આપણી પાસે એ રહે છે કે રાજકીય આગેવાનોની હાજરીમાં થતા જ્ઞાતિ સંમેલનોથી દૂર રહીએ....